મિશ્ર પાક પદ્ધતિ અપનાવવાથી જમીન વધુ ઉપજાઉ બને છે અને પાકની ગુણવત્તા સુધરે છે. ઘઉં સાથે ચણા, સરસવ વગેરે સહજીવી પાક વાવવાથી ખેડૂતને વધારાનો લાભ મળે છે અને જમીનની શક્તિ પણ વધે છે.
ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિના પ્રણેતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન મુજબ મુખ્ય પાક એકદળ હોય તો તેની સાથે દ્વિદળ સહજીવી પાક લેવું યોગ્ય માનવામાં આવે છે જેથી જમીનમાં નાઇટ્રોજન વધે.
ઉદાહરણ તરીકે ઘઉં સાથે ચણા, સરસવ, મસૂર, ધાણા અને વટાણા જેવા પાકો સહજીવી રીતે ઉગાડી શકાય છે. આ પાકો જમીનને પોષણ આપે છે અને ખેડૂતને એકથી વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય છે.
જો મુખ્ય પાકનું મૂળ ઊંડે જતું હોય તો સહજીવી પાક એવો લેવો જોઈએ કે જેનું મૂળ ઊંડું ન જાય. જેમ કે કપાસ અને તુવેર ઊંડા મૂળ ધરાવે છે જ્યારે મગ અને અડદ ઉપરના સ્તરે રહે છે.
સહજીવી પાક મુખ્ય પાક કરતાં ઓછા સમયમાં તૈયાર થતો હોવો જોઈએ જેથી બંને પાક વચ્ચે પોષક તત્વો અને પાણી માટે વધારે સ્પર્ધા ન થાય અને ઉત્પાદન સારી રીતે મળે.
સપ્ટેમ્બરમાં વાવાતી શેરડી સાથે બટેટા અથવા ચણા વાવી શકાય છે. તેમજ મરચી સાથે શેરડીમાં મગ કે અડદ જેવા પાકો વાવવાથી જમીનનો સારો ઉપયોગ થાય છે.
સહજીવી પાક ઝડપથી વધે અને જમીન ઢાંકી દે તેવો હોવો જોઈએ જેથી ભેજ ટકી રહે. દાળવર્ગીય પાક, તરબૂચ, ચીભડા અને કાકડી જેવા પાકો આ માટે યોગ્ય ગણાય છે.
જો મુખ્ય પાક સૂર્યપ્રકાશ વધારે સહન કરે તો સહજીવી પાક એવો લેવો જોઈએ કે જેને ઓછો પ્રકાશ ચાલે. જેમ કે શેરડી અથવા બાગાયતી પાકમાં હળદર લેવી લાભદાયી છે.
સહજીવી પાકમાં મિત્ર કીટકો આકર્ષે એવા પાક જેમ કે મકાઈ, ગલગોટા, ચોળી, રાઈ અને બાજરો ઉગાડવાથી મુખ્ય પાકમાં જીવાત નિયંત્રણ સહજ રીતે પ્રાપ્ત થઈ શકે છે.